આવળ ભારતના દરેક પ્રદેશમાં થતી વનસ્પતિ છે. તે સ્વાદમાં કડવી પણ પ્રકૃતિમાં ઠંડી અને આંખ માટે હિતકારી છે. આવળનો ઉપયોગ વર્ષોથી આયુર્વેદમાં ઔષધી તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની અનેક બીમારીઓની સારવારમાં થતો હજારો રુપિયાનો ખર્ચ બચી જાય છે.
જેમકે સગર્ભા સ્ત્રીને જો ઉલટીઓ થતી હોય અને ઉબકા બંધ થતા ન હોય તો આવળના ફુલની પાંદડીને સાકર સાથે ગાયના દૂધમાં વાટીને ચાટવાથી ઉલટી-ઉબકા બંધ થાય છે. પેશાબ અને ત્વચાના રોગ હોય તો આવળના ફુલનો ગુલકંદ લાભ કરે છે. તેનાથી શરીરનો રંગ પણ સ્વચ્છ થાય છે.
જો શરીરમાં કોઈ ભાગે મચકોડના કારણે સોજો આવ્યો હોય તો ત્યાં આવળના પાન બાંધવાથી રાહત થાય છે. આવળના ફૂલનો ઉકાળો જમતા પહેલા લેવાથી ડાયાબિટીસના દર્દીને લાભ થાય છે. આવળના ફૂલને સુકવીને તેનું ચૂર્ણ બનાવી ગરમ પાણી સાથે લેવાથી પ્રમેહ મટે છે.
અશક્તિ દુર કરવા માટે રોજ સવારે અને રાત્રે સૂતી વખતે આવળનું ચૂર્ણ, સાકર અને સોનામૂખીને સરખા ભાગે લઈ ફાકી જવાથી આશક્તિ મટે છે. આવળના ફૂલ અને પાંદડાને પાણીમાં ઉકાળી અને પીવાથી શરીર, ફેફસા અને ધાતુની નબળાઈ દુર થાય છે.
કબજિયાત હોય અને તેને મટાડવી હોય તો મીંઢી આવળના પાનને રાત્રે પાણીમાં પલાળી દેવા અને સવારે તેને મસળીને તેમાં ગોળ ઉમેરી પી જવાથી પેટ સાફ આવે છે. તેને પીવાથી કોઠાની ગરમી પણ મટે છે.
આવળના પાનમાં એન્થોક્વીનોન ગ્લાઈકોસાઈડ નામનું તત્વ હોય છે જે તેના રેચક ગુણના કારણે પ્રખ્યાત છે. તેને દુનિયાભરના ફાર્માકોપીયાઝમાં માન્યતા પ્રાપ્ત છે.
ભારતમાં સૌથી વધારે આવળ તમિલનાડુ અને ગુજરાતના કચ્છ જિલ્લામાં થાય છે. તેનું વાવેતર હજારો હેક્ટરમાં થાય છે. આપણા દેશમાંથી નિકાસ થતી હોય તેવા ઔષધિય પાકમાં ઈસબગુલ પછી સોનામુખી બીજા ક્રમે આવે છે. આવળને હિંદીમાં સોનામુખી નામે પણ ઓળખાય છે. તેનો ઉપયોગ રેચક તરીકે થાય છે. તે પેટના રોગને તુરંત દુર કરે છે.